સ્વર્ગ અને નરક ક્યાં છે ?
–યાસીન દલાલ
બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વીશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નર્કની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈએ કર્યું હોય તે ખ્યાલમાં નથી. પણ એક વીસ્મયજનક યોગાનુયોગરુપે દુનીયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ અને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યાં છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નર્કમાં જાય. મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાનીક નબળાઈ દરેક ધર્મના સંસ્થાપકો સારી રીતે જાણતા હતા. અને એનો એમણે પુરેપુરો લાભ લીધો.
માર્ક ટ્વેઈને કહ્યું હતું, ‘સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય.’ ડોન માર્કીસે કહ્યું છે, ‘લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઈએ છે ? તદ્દન નકામી વસ્તુ માટે માણસ નર્કની યાતનામાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે.’ માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનીયાની ચીન્તા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય છે માણસની મુંઝવણ પણ અજબ છે. એને કાળાંબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધું જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ પાકી કરવી હોય છે. આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. ક્યારેક એ વીચીત્ર પ્રકારનાં સમાધાન અને સમજુતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પુજા, પ્રાર્થના કરે છે, તીર્થયાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહીં મળે તો ? જીવ અવગતીએ જશે તો ? આત્માને શાન્તી નહીં મળે તો ? નર્કમાં જવું પડશે તો ?
આખી જીન્દગી ઢસરડો કરી, યાતનાઓ સહન કરી, દુઃખી દુઃખી થઈને માણસ મરી જાય ત્યારે આપણે એને ‘સ્વર્ગવાસી’ કહીએ છીએ ! મરનાર માણસના નામની આગળ ‘સ્વ.’ લગાડવાનું સામાન્ય છે; પછી ભલે મરનાર સંત હોય કે ડાકુ હોય. મર્યા પછી માણસ એક જ પંગતમાં આવી જાય છે.
એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ અને નર્ક બન્નેનાં મોડલો પ્રાપ્ય હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઉંચો આવતો નથી. જર્મની કે સ્વીટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઈએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુન્દર હશે ? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ મનહાઈમ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમુનો અને આપણા વીદર્ભ કે બીહારનું એકાદ ગામ કે શહેર જોઈએ એટલે પ્રશ્ન ઉઠે; શું નર્ક આનાથી ખરાબ હોઈ શકે ? પૃથ્વી ઉપર સ્વર્ગ ઉભું કરવું કે નર્ક, એ માણસના જ હાથમાં છે.
સ્વર્ગ એ પણ એક વીચીત્ર અને વીશીષ્ટ વસ્તુ છે. એ જોઈ ન શકાય અને છતાં; રાતદીવસ એની કલ્પનાનાં ચીત્રો ઉપસતાં રહે ! સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઈ ન શકાય. કવીઓ, લેખકો, ચીત્રકારો અને ફીલ્મસર્જકોએ પોતપોતાના ખ્યાલ મુજબ સ્વર્ગ અને નર્કનાં ચીત્રો દોર્યાં છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકનાં ચીત્રો બેનમુન છે. હજારો વર્ષો પછી પણ એ ચીત્રોમાં માનવજાતનો રસ ચાલુ છે. દાંતેના ‘ઈન્ફર્નો’નાં બીહામણાં ચીત્રો, યુરોપ આખામાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાંચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધ્રુજી જાય. પણ, પછી વીચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઈ કમ છે ? પૃથ્વી ઉપરનું જીવતું નર્ક જોવું હોય તો મુંબઈ જેવા આપણા એક મહાનગરમાં આંટો મારી આવવો જોઈએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં ?
સ્વર્ગ અને નર્ક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવીક સત્ય છે. પણ, કલ્પનામાં રાચતા આપણે વાસ્તવીકતાથી દુર ભાગીએ છીએ અને અનેક ભૌતીક સુખોથી વંચીત રહીએ છીએ. પરભવ સુધારવાની ચીન્તામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી.
સ્વર્ગ વીશે લખવામાં, કે સ્વર્ગનું ચીત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી અને કોઈ જોવાનું પણ નથી. માટે એનું ચીત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણાં મનનાં બધાં તરંગોનું અવતરણ સ્વર્ગનાં ચીત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે. આ વાતને આગળ વધારીને, હીન્દી ફીલ્મોના નીર્દેશકોએ સ્વપ્નદૃશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્નદૃશ્યોમાં સ્વર્ગ કે નર્કની સફર પ્રેક્ષકને કરાવી આપી ! રાજ કપુરની ‘આવારા’ હોય કે, ગુરુ દત્તની ‘પ્યાસા’ હોય, સ્વર્ગ-નર્કનાં દૃશ્યો અને સ્વપ્નદૃશ્યો આવતાં જ રહે છે. દીલીપકુમારની ‘લીડર’માં સ્વર્ગની મહારાણી અને પૃથ્વીલોકની એક સ્ત્રી વચ્ચે, નાયકના કબજા માટે શાબ્દીક ઘર્ષણ થાય છે ! સ્વર્ગમાં પણ બે સ્ત્રીઓ એકઠી થાય, એટલે એક પુરુષ એમના વીવાદનું કેન્દ્ર બની શકે છે. મહીપાલ અને નીરુપારોયની સંખ્યાબંધ ધાર્મીક ફીલ્મમાં ઈન્દ્રલોક અને પાતાળલોકના અત્યંત કઢંગા અને હાસ્યાસ્પદ પ્રસંગો બતાવાયા છે. ફીલ્મી દૃશ્યમાં સ્વર્ગ આવે, એટલે દુનીયાભરની અવાસ્તવીકતા એકઠી થઈને સામે આવે. સ્વર્ગદૃશ્ય કે સ્વપ્નદૃશ્યમાં ગેસ ઉડતો હોય, અને ધુમાડાઓની વચ્ચે નાયક–નાયીકા એકબીજાને શોધતાં અથડાતાં હોય. કે આસીફે પોતાની ફીલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વીશ્વના ઉત્તમ ટૅક્નીશીયનોની મદદ લીધી. પણ એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઈ શકે, એ પહેલાં આસીફસાહેબ જ સ્વર્ગસ્થ થયા ! પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકનાં વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણીક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ એ સીવાય એને ગમ્ભીર રીતે લેવામાં આવે છે. પૃથ્વી અને સ્વર્ગ અને નરક એ ધર્મગુરુઓનાં સ્થાપીત હીતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઈથી મુર્ખ બનાવી શકાય છે. માણસ જ્યારે બૌદ્ધીક રીતે પુર્ણ રીતે વીકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરુપ થતી હતી. આમ, સ્વર્ગ નર્કનું ઐતીહાસીક મહત્ત્વ છે; પણ આજના યુગમાં એમાં કાળવીપર્યય જણાય છે. આજના કમ્પ્યુટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઈને માબાપને પુછશે : ‘બતાવો, આમાં સ્વર્ગ ક્યાં છે?’ ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને તેની કોણીએ સ્વર્ગનો ગોળ ચોંટાડી દઈએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપુર્વક ઉઠાવી લે. સ્વર્ગ–નર્ક ધાર્મીક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતી સેંકડો વર્ષ પહેલાં થઈ ગઈ હોત. માણસને વૈચારીક રીતે પછાત રાખવામાં પુરી કલ્પનાઓ કામ લાગે છે.
મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ખરી ? પાપ અને પુણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે ! પ્રદેશપ્રદેશ અને પ્રજાપ્રજાએ આ બધા વીચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનું સેવન પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં બહુપત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટીન લ્યુથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો ! ધર્મને નામે, પાપ–પુણ્યનાં નામે, સ્વર્ગ–નર્કનાં નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપીંડીઓ થઈ છે. દુનીયાની બધી પ્રજાઓ સ્વર્ગ–નર્કને એકસરખું મહત્ત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીઓને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રીઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાતજાતના કીમીયા કરીએ છીએ. લોકો આને માટે પુજાપાઠ કરે છે, હોમ–હવન કરે છે અને યજ્ઞો કરે છે. મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વીધીઓ કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાન્તી માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એનો આત્મા શરીરમાંથી નીકળીને ઉંચે આકાશમાં જાય છે, એ સાબીત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે; પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય ? અનેક નીર્દોષ શ્વાનો ખાઈ જનાર સીંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નર્કમાં ?
અરેબીયન નાઈટ્સની ઘણી વાર્તાઓમાં જન્નતનાં ચીત્રો આપવામાં આવ્યાં છે. સ્વર્ગમાં શું હશે ? સ્વર્ગમાં ઉત્તમ બાગ–બગીચા છે, ફુવારા છે, સ્વર્ગમાં પરીઓ હોય છે અને હુરો હોય છે. જન્નતની હુરની કલ્પના આજના સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળની સાથે બંધબેસતી નથી. સ્વર્ગમાં ઉત્તમ ફળ, ઉત્તમ ફુલ, ઉત્તમ ભોજન હોય છે અને આપણી ચાકરીમાં હજારો પરીઓ અને ફરીસ્તાઓ હાજર હોય છે.
માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્ત્વ આંકવું ? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. વાસ્તવમાં, બીનસામ્પ્રદાયીકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બીનસામ્પ્રદાયીક એ, કે જે દુન્યવી બાબતો ઉપર ભાર મુકે અને અદુન્યવી કે આધીભૌતીક શક્તીઓ, ચમત્કારો વગેરેમાં વીશ્વાસ ન રાખે, હેલીયોકથી માંડીને માર્ક્સ સુધીના ફીલસુફો આ જ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ–નર્ક અને પાપ–પુણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરુપ થઈને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીએ એટલે એના ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય.
સ્વર્ગ અને નર્ક એ માત્ર કલ્પનાવીહાર છે કે સચ્ચાઈ છે ? ઉર્દુમાં એક શેર છે, ‘યું તો હમને દેખી નહીં જન્નતકી હકીકત લેકીન; દીલકો બહલાને કે લીયે યે ખયાલ અચ્છા હૈ’, સ્વર્ગ–નર્કની આખી વાત શું દીલ બહેલાવવા માટે ઉપજાવી કાઢેલી છે ? સ્વર્ગ અને નર્ક સાચેસાચ હોય તો આપણને દેખાતાં કેમ નથી ? એની આસપાસ રહસ્યનું આખું આવરણ શા માટે વીંટાળી દેવાયું છે ?
સ્વર્ગ–નર્ક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણા દેશને અને આપણા ઘરને જ સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તી ખર્ચીએ તો કેમ ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર જ ઉભું કરવા માટે વૈરાગી થવાની પણ જરુર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સમ્પુર્ણ આનન્દમય બનાવીએ અને એને પુર્ણસ્વરુપે માણીએ એનું જ નામ સ્વર્ગ.
–યાસીન દલાલ
No comments:
Post a Comment