પાંચમું ભણેલા રામજીભાઈ રૅશનાલીઝમમાં પીએચ.ડી. છે !
રામજીભાઈ પટેલ, ઉર્વીશ કોઠારી, વીજય ભગત અને ગોવીન્દ મારુ]
પાંચમું ભણેલા રામજીભાઈ રૅશનાલીઝમમાં પીએચ.ડી. છે !
–પ્રા. સુર્યકાન્ત શાહ
જાણીતા ઍડવોકેટ અને એકાઉન્ટન્ટ વીજય ભગત એમની અટક પ્રમાણે ભગત કુટુમ્બના છે. એમના કુટુમ્બને ભક્તી વારસામાં મળી છે. સ્વાભાવીક છે કે વીજય પણ ભગત જ હોય; પરન્તુ એમની એક મુશ્કેલી છે કે એ મગજ ખુલ્લું રાખે છે. આથી જ્યારે તેઓ સમજણા થયા ત્યારે ભણવા તેમ જ ભક્તીનું વાંચવા ઉપરાન્ત અન્ય વાંચન પણ કરવા માંડ્યું. એમાં એમને મુરબ્બી રમણભાઈ પાઠક વાંચવા મળ્યા. રમણભાઈની કલમ‘રમણભ્રમણ’માંથી મુખ્યત્વે રૅશનાલીઝમના પાઠોનું જ વહન થતું હતું. વીજયને રમણભાઈની વાતો સાચી લાગી. રમણભાઈને ગોતી કાઢ્યા. એમને મળવા માંડ્યું. એમની વાતો એમને સ્વીકારવા યોગ્ય લાગી. એમણે રૅશનાલીઝમ સ્વીકાર્યું. રુઢીઓ, વહેમ, શ્રદ્ધા અને ધર્મનાં ગપ્પાં પણ સાચાં માનવાની મજબુરીમાંથી મુક્ત થયા. એમનાં રાત અને દીવસ પહેલાંની જેમ ચોવીસ કલાકના જ છે. પરન્તુ હવે એ સમયમાંથી મુક્ત નીર્દોષ આનન્દ મળે; તે માટે રૅશનાલીઝમની જ વાતો લોકોને સમજાવવી પડે. આથી એમણે તો રમણભાઈના જીવતાજીવત જ ‘પ્રા. રમણ પાઠક વ્યાખ્યાનમાળા’ શરુ કરી. રમણભાઈની જન્મતારીખ પછીના રવીવારે દર વર્ષે એમણે એક જાહેર વ્યાખ્યાન યોજવાનું શરુ કર્યું. આ વર્ષે પણ આવતી કાલે 31 જુલાઈને રવીવારે સુરતની જીવનભારતી સ્કુલના રંગભવનમાં એમણે પ્રગતીશીલ કટારલેખક શ્રી. ઉર્વીશ કોઠારીનું વ્યાખ્યાન સવારે 10.30 થી 12.30 સુધી યોજ્યું છે. ઉર્વીશ કોઠારી ‘સમાજ સુધારામાં રૅશનાલીઝમનું પ્રદાન’વીષય પર શ્રોતાઓને સંબોધશે. અહીં સુધી તો વીજયે કરેલી ગોઠવણ કોઈ પણ કાર્યક્રમમાં ગોઠવાતી સામાન્ય બાબત છે; પરન્તુ નવાઈની વાત એ છે કે વ્યાખ્યાનમાળાના 6ઠ્ઠા મણકાના સમારંભના પ્રમુખ પાંચ ચોપડી ભણેલા રામજીભાઈને પસન્દ કર્યા તેની પાછળનું રહસ્ય ફરી એકવાર રૅશનાલીઝમ છે.
રામજીભાઈનું રૅશનાલીઝમમાં પીએચ.ડી !
રામજીભાઈ હવે ધન્ધામાંથી નીવૃત્ત થયા છે. એમનું કુટુમ્બ પણ ધાર્મીક ભક્તીભાવથી રંગાયેલું હતું. તેઓ પણ ખુબ ધાર્મીક હતા. રાધાકૃષ્ણના ભક્ત હતા. એક વાર એમને પણ દયાનન્દ સરસ્વતી જેવો અનુભવ થયો. શંકરના લીંગ પર ઉન્દરડાં દોડતાં જોઈને દયાનન્દને શ્રદ્ધામાં શંકા થઈ હતી. ધર્મ અને મુર્તીઓના પ્રભાવની જે અનેક કથાઓ છે તેમાં એમને પોલાણ લાગ્યું. આથી તેઓ સુધારક થઈ ગયા. શ્રી. ઉર્વીશ કોઠારી તો‘સમાજ સુધારણામાં રૅશનાલીઝમનું પ્રદાન’ વીષય ઉપર પોતાના વીચારો વ્યક્ત કરશે; પરન્તુ દયાનન્દપ્રેરીત સુધારાઓમાં તો ધર્મના પોલાણનું પ્રદાન વધારે હતું. આવું જ કંઈક રામજીભાઈને થયું. એમણે રાધાકૃષ્ણની મુર્તીઓ પર ચઢી ગયેલા ઉન્દરો જોયા. ત્યારે એમની ઉમ્મર બાર વર્ષની હતી.
આ ઉન્દરોએ રામજીભાઈને જગાડ્યા. મુર્તીઓમાં સજીવારોપણ અને તેમાં આવીને બેસતાં દેવોના થતા દાવામાં એમને શંકા પડવા લાગી. તેમાં વળી ઘરમાં એમની માતાના અવસાનના કરુણ પ્રસંગે એમના પીતા શામજીભાઈએ જણાવ્યું કે, એમની પાછળ મરણોત્તરવીધી કરવાની કોઈ જરુર નથી. શામજીભાઈની ઉમ્મર આજે 98 વર્ષની છે અને હજી આજે પણ વરાછારોડ પર કોઈક વાર જતા–આવતા દેખાય છે !
રામજીભાઈના મનપ્રદેશમાં ધર્મનાં આદેશો પામવા માટે અવઢવ તો થવા જ માંડી હતી. તેમાં વળી એમના પીતાએ ‘મરણોત્તર ક્રીયાની કોઈ જરુરીયાત નથી’ એવું જણાવ્યું. બસ… ત્યાર પછી રામજીભાઈની વૈચારીક ગાડી રૅશનાલીઝમના પાટે સડસડાટ દોડવા માંડી. એમનું કુટુમ્બ વીશાળ છે. જાણીતા ઉદ્યોગપતી વલ્લભભાઈ ઈટાલીયા એમના લઘુબન્ધુ છે. વલ્લભભાઈ સહીત બધા જ ભાઈઓ અને વીશાળ કુટુમ્બ રૅશનાલીઝમ વીચારધારાને વરેલા છે. રામજીભાઈ ગૌરવથી જાહેર કરે છે કે એમના મોટા બંગલામાં એક પણ ભગવાન કે દેવ–દેવીઓના ફોટા નથી. જન્મ, લગ્ન કે મરણપ્રસંગોએ કદી પણ તેઓ કોઈ ધાર્મીકવીધી કરતા–કરાવતા નથી. રૅશનાલીઝમમાં ગૃહીત વીવેકબુદ્ધીમાં જ તેઓ માને છે. કાર્યકારણના સાચા સમ્બન્ધો શોધવા અને માનવવાદી અભીગમ રાખવાનો એમનો આગ્રહ છે. રમણભાઈના લેખનથી તેઓ ખુબ પ્રભાવીત છે. એમણે રમણભાઈને વાંચવા માંડ્યા તે પહેલાં તેઓ તો રૅશનાલીસ્ટ થઈ ગયા હતા; પણ દક્ષીણ ગુજરાતમાં તેઓ આવ્યા ત્યારે રમણભાઈના વીચારો જાણે એમને એમના સહોદરના વીચારો લાગ્યા ! તેઓ તો દાવા સાથે જણાવે છે કે દક્ષીણ ગુજરાતમાં રૅશનાલીઝમની તરફેણમાં અને સમાજસુધારાનું પ્રમાણ વધારે હોવામાં રમણભાઈના લેખનનો પણ અગત્યનો ફાળો છે.
રામજીભાઈના પાંચ ધોરણ સુધીના અભ્યાસ સામે અત્યારના પીએચ.ડી. સુધી કેટલાક ભણેલાઓની રુઢીઓ, વહેમ અને ધર્મના અવૈજ્ઞાનીક આદર્શોમાં દૃઢ શ્રદ્ધા નજરે પડે છે ત્યારે તારણ તો એવું જ આવે છે કે, શીક્ષણ માણસને વીવેકશીલ બનાવે જ એવી ખાતરી આપી શકાતી નથી. મૃત સગાની પાછળ સ્મશાનમાં લાકડાથી જ અગ્નીદાહ આપવાનો આગ્રહ આવા ભણેલાને પુરતો લાગતો નથી. સ્મશાનમાં; વીજળી અને ગેસના ચુલા હોય છે, છતાં ભણેલાઓનો આ આગ્રહ સમજાવે છે કે શીક્ષણને અને વીવેકને સમ્બન્ધ નથી. વાત અહીંથી અટકતી નથી. બળતા શબમાં કીલોબન્ધ ચોખ્ખું ઘી નાંખવામાં આવે, અને એવા જ બીજા ખાદ્યપદાર્થો. સગુ પીએચ.ડી. હોય તો પણ નીસાસો જ નાંખવો પડે કે આ વ્યક્તીને પળભર પણ જવાબ નથી આપતો કે એ પર્યાવરણને તો ભારે નુકસાન પહોંચાડે જ છે; પરન્તુ અનેક ગરીબોના મુખેથી ખોરાક પણ ઝુંટવી લે છે ! આ તો એક દાખલો છે. ભણેલાઓની અવૈજ્ઞાનીકતા પુરવાર કરતા આવા અનેક દાખલા મળે છે. બારમા–તેરમાના ભોજન સમારંભ એટલે ચીરવીદાય લેતી વ્યક્તી પાછળ દુ:ખની અભીવ્યક્તી નહીં; પણ દુધપાક આરોગ્યાનો આનન્દ ! આવી અવૈજ્ઞાનીક રુઢીઓ પરત્વે રામજીભાઈને ભારે આક્રોશ છે.
આ બધી રુઢીઓ સમાજવીરોધી છે તેવું તેઓ મક્કમપણે માને છે. આથી આવી રુઢીઓ અને ધર્મની ઘેલછા વીશે જ્યારે તેઓ બોલવા માંડે છે ત્યારે રૅશનાલીઝમના પરના એમના ઉંડા ચીન્તનનો પરચો મળે છે. તરત સમજાઈ જાય છે કે રામજીભાઈનું આ ચીન્તન એમને પીએચ.ડી.ની પદવી મેળવવાને માટે લાયક ઠરાવે છે ! તેઓ માને છે કે સમાજસુધારાની પાછળ જો રૅશનાલીઝમની વીચારધારા કામ કરશે તો એ સુધારા કાયમનું સ્થાન લેશે. કોઈ એક સુધારક એના જીવનમાં માંડ બે–ત્રણ સમાજસુધારાની અહાલેક જગાવી શકે, જેમ નર્મદે ને દુર્ગાશંકરે કર્યું હતું. ઘણા કીસ્સાઓમાં તો એવું બન્યું છે કે, એ સુધારકના અવસાન પછી એણે પ્રબોધેલા સુધારાઓનું પણ અવસાન થયું છે. રામજીભાઈ માને છે કે આવા પ્રત્યેક સુધારા પાછળ રૅશનાલીઝમની વીચારધારા જો ઉભી હોત તો જ એ સુધારા સમાજમાં કાયમનું સ્થાન લઈ શકે.
રૅશનાલીઝમનું પ્રદાન
આ જ મુદ્દા પર આવતીકાલે ઉર્વીશ કોઠારી બોલવાના છે. ઈતીહાસ જોતાં એવું દેખાય છે કે સમાજ સુધારાની આગેવાની લેનારાઓ કંઈ રૅશનાલીસ્ટ નહોતા. કોઈ એક રુઢી અથવા ધાર્મીક આદેશમાં એમને મુખ્યત્વે અન્યાય દેખાયો. એ અન્યાયને દુર કરવા એમણે સામાજીક સુધારાની આગેવાની લીધી. મોટા ભાગના સમાજ સુધારકો ખુબ ધાર્મીક હતા અને ઘણી અવૈજ્ઞાનીક તેમ જ નુકસાનકારક વીધી–પ્રવીધીઓ પણ કરતા હતા.
આમ વીસમી સદીના ઉત્તરાર્ધ સુધી સમાજ સુધારામાં રૅશનાલીઝમનું પ્રદાન નહીંવત્ છે. અલબત્ત, એનાથી ઉલટું બન્યું ખરું. સમાજ સુધારાએ રૅશનાલીઝમના પ્રચાર–પ્રસારમાં ઘણું પ્રદાન કર્યું. રુઢીઓ અને ધાર્મીક આદેશોની અવગણના થઈ શકે જ નહીં, એવી જે દૃઢ માન્યતા છે તેમાંના એક વીરુદ્ધ કોઈ સમાજસુધારક બ્યુગલ ફુંકે અને થોડો ઘણો પણ સફળ થાય તો લોકોને ખ્યાલ આવે છે કે રુઢીઓ અને ધાર્મીક આદેશોને પડકારી શકાય. આ ખ્યાલ આવે તે જ રૅશનાલીઝમનો આવીર્ભાવ છે. જેમ દયાનન્દને દેખાયું કે નાના ઉન્દરડા શીવજીને અને રામજીભાઈને દેખાયું કે રાધાકૃષ્ણને પડકારે છે તેથી તેની ભક્તી કરવા જેવું નથી. તેમ એકાદ સફળ થતી સમાજસુધારાની ચળવળ રુઢીઓ અને ધર્મોના જડબેસલાક માળખામાં છીદ્રો પાડે છે. આથી જ કેટલાક સુધારા સમાજ માટે ઘણા ઉપકારક હોય છે; છતાં સાધુ–બાવા–મૌલવીઓ એનો વીરોધ કરે છે. એમને ફડક પેસી જાય છે કે જે પરીવર્તન થઈ રહ્યું છે તે સમાજ માટે ઉપકારી હોય છતાં તે એમની સત્તાને પડકારે છે. કોઈ પણ સત્તાધીશ એની સત્તાને ફેંકાતા પડકારનો વીરોધ કરે જ. આથી દેખાયું છે કે જેમાં ધર્મને લેવા–દેવા ઘણી ઓછી હોય છે તેવા સમાજસુધારાનો પણ ધાર્મીક આગેવાનો વીરોધ કરે છે.
વીસમી સદીના ઉત્તરાર્ધથી પ્રજાના નાના વર્ગને ખ્યાલ આવ્યો કે વીજ્ઞાન–ટૅકનોલૉજીના લાભદાયી ઉપયોગની સાથોસાથ વૈજ્ઞાનીક અભીગમ પણ જીવનમાં અપનાવવો જોઈએ. આ નાનો વર્ગ તપાસવા માંડ્યો છે. એને જે રુઢીઓ અને આદેશો સમાજ માટે નુકસાનકારક દેખાય છે તે પુરાવા–તર્ક સાથે સમાજ સમક્ષ મુકવા માંડ્યો છે.
આ રૅશનાલીસ્ટો કુરુઢીઓ અને સમગ્રપણે ધાર્મીકતાની પાછળના અવૈજ્ઞાનીકતાભર્યા માનસને ચર્ચા તળે લાવે છે. સમ્બન્ધકર્તાઓને સમજાવે છે કે આ રોગીના માનસને આરોગ્યદાયી બનાવો. જે લોકો એ સમજવા માંડ્યા છે તેઓ મહત્તમ નીર્દોષ આનન્દને માણવા લાગ્યા છે. આ પોતે એક સામાજીક સુધારો છે, જે સંગીન છે અને દીર્ઘજીવી છે. પશ્ચીમના દેશોમાં રૅશનાલીઝમના પાયે સમાજસુધારા મોટા પ્રમાણમાં થવા માંડ્યા છે. ભારત સહીત રુઢીચુસ્ત દેશોમાં આવું બનતું નથી. એવું બને તે પ્રત્યેક રૅશનાલીસ્ટે પોતપોતાના કાર્યપ્રદેશમાં જોવાનું છે.
–પ્રા. સુર્યકાન્ત શાહ
No comments:
Post a Comment