ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા
–ઉર્વીશ કોઠારી
ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સન્ત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઈન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રીસ્તી ધર્મના રોમન કેથલીક સમ્પ્રદાયની લાંબી વીધી પુરી કર્યા પછી વેટીકન સીટીસ્થીત વડા, પૉપે તેમને સન્ત જાહેર કર્યાં. ઘણા ખ્રીસ્તી–બીનખ્રીસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચુક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સન્ત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મીક દરજ્જાનો પણ સુચક બની રહેશે.
રોમન કેથલીક સમ્પ્રદાયમાં સત્તાવાર રીતે સન્તનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખીયાંની નીઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઈ જાય છે; પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પુરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અન્ધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મીકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વીચારવા જેવો સવાલ એ છે કે કોઈ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અન્ધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડીયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?
ધર્મના વ્યાપક અર્થ વીશે રસપ્રદ વાત વીખ્યાત ગુજરાતી લેખક–ગણીતજ્ઞ અને ખ્રીસ્તી પાદરીફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વીવીધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરુપ વાક્ય કહ્યું હતું, ‘મારો ધર્મ; મારો ધર્મ (સ્વ–ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રીલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઈઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં; પણ જે સ્વાભાવીક અને નૈસર્ગીક થઈ પડે એ જ મારો ધર્મ.’ કબીરનું પદ ‘સહજ સમાધી ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના–તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતીમાંથી આવે. એ ઉપરથી નહીં; અન્દરથી આવેલો હોવો જોઈએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’ ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?
ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરુરી છે. કોઈ પણ ધર્મ–સમ્પ્રદાયની સંસ્થા ધર્મના સમ્પુર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં – અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મુળ સ્વરુપે બહુ વીશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઈ એક લક્ષણ, સુત્ર, કાર્ય, વીધી કે નીષેધમાં સમાઈ જાય ને તેના ભંગથી જોખમાઈ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ–સમ્પ્રદાયમાં સમ્પત્તીનું સર્જન કરવાનું કે લોકો ભુખે મરતા–બીમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઉભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરુરી’ પણ ગણાવી શકે.
ઘણી વાર ધર્મસ્થાનો કૉર્પોરેટ ઑફીસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયની સદ્ધરતાનો અન્દાજ બાંધે છે—અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલ્કે, ઘણુંખરું એ જ હેતુથી ટૅકનોલૉજી, નાણાં અને માનવશક્તીનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઉભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરુપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઈ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવીત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનીવાર્ય જ નહીં; ધર્મ્ય પણ ગણતા થઈ જાય છે.
ભારતમાં વંચીતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મીકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પુરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઈ પણ ગણવેશધારી ધર્મધુરન્ધર કરતાં ગાંધીજીનું નૈતીક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં; ધર્મના કંઠીબન્ધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હીંદુ, મુસ્લીમ, ખ્રીસ્તી એવા બધા ધર્મોના ધુરન્ધરો–રુઢીચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવીષયક સમજ વધારે વાસ્તવીક, વધારે માનવકેન્દ્રી જણાઈ. સ્વામી આનન્દ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઉભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા—અને સ્વામીને પણ એ સમજાવી શક્યા—કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી; લોકો તેમની સેવા કરે છે.
ધર્મની સમજ, દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઉભી કરે, ત્યારે રુઢીચુસ્તતા અને વ્યક્તીગત સ્વતન્ત્રતાનો વીરોધ દૃઢ થાય છે. મુસ્લીમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છુટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રીવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનુની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લીમ મહીલાઓએ ટ્રીપલ તલાકના રીવાજને સ્ત્રીવીરોધી અને વ્યક્તીની સ્વતન્ત્રતાનો વીરોધી લેખાવીને તેને નાબુદ કરવાની માગણી કરી છે. પરંતુ ઑલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરીઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રીવાજનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ‘દમ્પતી વચ્ચે ગમ્ભીર મતભેદ ઉભા થાય અને પતી સાથે રહેવા ન જ ઈચ્છતો હોય તો સમય અને રુપીયાના બગાડ જેવી કાનુની વીધીથી ખચકાઈને તે કાયદેસર છુટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઈ શકે.’ દેખીતાં કારણોસર ફરીયાદી મુસ્લીમ મહીલાઓએ પર્સનલ લૉ બોર્ડની દલીલોને પીતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લીમ દેશોમાં પણ આવી જોગવાઈ નથી.
આ મુદ્દે રુઢીચુસ્તો પાસે કશો તાર્કીક જવાબ નથી. એટલે તે કુરાન અને શરીઅતને અફર ગણાવીને, આ રીવાજને તેમના ધાર્મીક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજુઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઈસ્લામ કોઈ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ; આધુનીક સમયમાં બન્ધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તીની સ્વતન્ત્રતાનો અધીકાર કોઈ પણ ધર્મપુસ્તક કરતાં ચડીયાતાં ગણાવાં જોઈએ.
ટ્રીપલ તલાકની નાબુદીથી ઈસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વીરોધથી રોમન કેથલીક સમ્પ્રદાયને હાની પહોંચશે કે અન્ધશ્રદ્ધા–જ્ઞાતીવાદી ભેદભાવનો વીરોધ એ હીંદુ ધર્મનો વીરોધ છે, એવી માન્યતાઓ સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયનો મહીમા ઘટાડે છે કે વધારે છે? વીચારી જોજો.
–ઉર્વીશ કોઠારી
No comments:
Post a Comment