અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃઈન્ટરનેટ
–ઉર્વીશ કોઠારી
‘આ સત્યઘટના છે. મહેરબાની કરીને તેને અવગણશો નહીં. (અહીં કોઈ બાબા–બાપુ, સંત–ફકીર, સાંઈ–ગુરુની કેટલીક તસવીરો હોય છે.) એક અફસરને આ તસવીરો (ધરાવતો ઈ-મેઈલ) મોકલ્યા પછી બે મીલીયન ડૉલર મળ્યા. આ મેઈલ આગળ ન મોકલીને, મેઈલની સાંકળ/ચેઈન આગળ વધતી અટકાવવા બદલ રૉબર્ટે ૨.૧ મીલીયનડૉલર ગુમાવ્યા…પ્લીઝ આ ઈ-મેઈલની ૨૦ કૉપી મોકલો અને પછી ફક્ત ચાર જ દીવસમાં જુઓ, શું થાય છે ! આ ચેઈન લેટર શીરડીથી આવ્યો છે. તમને ચોક્કસ ૪૮ કલાકમાં જ સારા સમાચાર સાંભળવા મળશે.’
*****
ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ દરેક જણને આ અને આવા જુદા જુદા ઈષ્ટદેવોની આણ આપતા ઈ-મેઈલ મળતા હશે. આ પ્રકારના મેઈલનું શું થતું હશે ? અંદાજ લગાડી શકાય છેઃ થોડા લોકો આવા ઈ–મેઇલ વાંચીને, મનોમન રમુજ પામીને તેને કચરાટોપલીમાં/ટ્રૅશ તરીકે નાખી દેતા હશે. બીજા થોડા લોકો શ્રદ્ધાપુર્વક, ખરેખર આવા ૨૦ મેઈલ મોકલવાથી ફાયદો થશે ને ન મોકલવાથી નુકસાન થશે એવું માનીને બીજા ૨૦ જણને મેઈલ મોકલી આપશે. ત્યાર પછી ૪૮ કલાક વીતી જાય અને કોઈ સારા સમાચાર ન આવે તો તે આખી વાતને ભુલી જશે અને ફરી કોઈ માતા-પીતા-બાવા-બાપા-બાબાની આણ આપતો મેઈલ આવે ત્યારે પંદર-વીસ-પચીસ જણને મોકલી આપશે. પરંતુ મોટા ભાગના લોકો આ મેઈલમાં લખેલી વીગત માની લે એટલા ભોળા/શ્રદ્ધાળુ હોતા નથી. એ લોકો ઈ-મેઈલ ફોરવર્ડ કરવાથી રાતોરાત લૉટરી ન લાગી જાય એટલું સમજવા જેટલા બુદ્ધીશાળી છે. ‘આમ તો હું આવા બધામાં માનતો નથી’ એવું કહેવું તેમને ગમે છે. પણ… તોંતેર મણનો ‘પણ’ એ છે કે ‘આમ તો હું આવા બધામાં માનતો નથી, પણ આ મેઈલ ફોરવર્ડ કરવામાં એકેય રુપીયાનો ખર્ચ નથી. મને કે બીજા કોઈને કશું નુકસાન નથી અને (હેં હેં હેં) કોને ખબર ? કદાચ કંઈક થાય પણ ખરું ! આ તો જસ્ટ જોકીંગ, હોં !’ પ્રગટપણે કે મનોમન આ પ્રકારનું કંઈક કહીને, તે વીસ જણને ઈ-મેઈલ ફોરવર્ડ કરી આપશે. આવી રીતે એડ્રેસના ખાનામાં લચકેલચકાં સરનામાં ધરાવતા ઈ-મેઈલ જ્યારે પણ મળે ત્યારે હસવું કે રડવું એ જ સમજાતું નથી ! ખરેખર તો કપાળ કુટવાનું મન થવું જોઈએ. પણ આવા દરેક પ્રસંગે કપાળ કુટીએ તો કપાળ ચંદ્રની સપાટીની જેમ ગોબાચ્છાદીત થઇ જાય.
વીચાર આવે કે લેટેસ્ટ ટૅકનોલૉજી ધરાવતા ઉપગ્રહો, દરીયાના પેટાળમાંથી પસાર થતા સબમરીન કૅબલ, આઘુનીકતમ કમ્પ્યુટર પ્રોગ્રામ, વાયરલેસ કનેક્શન, ઓપ્ટીકલ ફાયબર વગેરેની સહીયારી કમાલને માતાજીના ‘પરચાના પોસ્ટકાર્ડ’ના સ્તરે ઉતારી દેનારાને શું કહેવું ? ઈન્ટરનેટને ભાંડવાનું, તેને સર્વ દુષણોનાં મુળ તરીકે ઓળખાવવાનું બહુ સહેલું છે; પણ ખરો સવાલ માણસના મનમાં ખદબદતી લાલચથી માંડીને અંધશ્રદ્ધા જેવી વૃત્તીઓનો છે. આ વૃત્તી આહાર, નીદ્રા કે ભય જેવી મુળભુત નથી; છતાં તેનાં મુળીયાં એટલાં જ ઉંડાં જતાં રહ્યાં છે. આદીકાળમાં તેનો આરંભ પ્રાકૃતીક પરીબળો પ્રત્યેના ભય અને વીસ્મયમાંથી થયો હશે. પછી તેમાં લાલચ અને ટુંકા રસ્તે સમૃદ્ધ થઈ જવાના ધખારાનો રંગ ભળ્યો. એવી અંધશ્રદ્ધાને આસ્તીકતા કે અઘ્યાત્મ સાથે કશો સંબંધ નથી. પરચાના પોસ્ટકાર્ડ કે ઈ-મેઈલ મોકલનાર અને લૉટરીની ટીકીટ ખરીદનારની માનસીકતામાં ખાસ ફરક હોતો નથી. બન્નેને પોતાની કોઈ આવડત કે મહેનત વીના, બસ એમ જ, કશુંય કર્યા વીના, પૈસાદાર બની જવું છે અને એ માટે બુદ્ધીનું ગમે તેવું પ્રદર્શન કરતાં પણ ખચકાટ થતો નથી. કોને ખબર, પ્રદર્શન કરીને પણ સમૃદ્ધ થઈ જવાય તો ? સોદો ખોટો નથી ! ઘરેડીયા અંધશ્રદ્ધાળુઓ સાથે કામ પાડવાનું પ્રમાણમાં ઓછું મુશ્કેલ છે. તેમની સરખામણીમાં ‘આપણે તો આવા બધામાં માનતા નથી, પણ નુકસાન શું છે ?’ એવું માનનારા લોકો વધારે રીઢા હોય છે. તેમાં કહેવાતા ભણેલાગણેલા, સમાજ જેને ‘ડૉક્ટરો-એન્જીનીયરો’ જેવા સન્માનસુચક વર્ગમાં મુકે છે, તેમની સંખ્યા પણ મોટી હોય છે. તેમને પોતાની અંધશ્રદ્ધા રુપી દોણી સંતાડીને, છાશની લાઈનમાં ઉભા રહેવું છે. ભણતર તેમને ફક્ત અંધશ્રદ્ધા છુપાવવાનો દંભ શીખવી શક્યું છે. તેમના મનમાંથી અંધશ્રદ્ધાનો મેલ કાઢી શક્યું નથી. એટલે જ, ‘એમાં આપણને ક્યાં કશું નુકસાન છે ?’ એમ કહીને એ લોકો અંધશ્રદ્ધાનો ગળચટો ગળપટ્ટો બાંધી લે છે અને ‘કોઇને ખબર નહીં પડે’ એમ વીચારીને હરખાય છે.
પોતાનું કશું ન જતું હોય એવી બીજી કેટલી બાબતોમાં આ લોકો આટલો ઉત્સાહ બતાવે છે, એ વીચારવા જેવું છે. ‘ટૅકનોલૉજીને મળતા માણસના પરચા’ ઈન્ટરનેટની સૌથી મોટી લાક્ષણીકતા – મફત અને તરત – સારી માહીતી જેટલી જ ખોટી માહીતીને, દુષણોને, અંધશ્રદ્ધાને પણ લાગુ પડે છે. કારણ કે વીજ્ઞાન નીતીનીરપેક્ષ હોય છે. એ વીજ્ઞાનનો ગુણ પણ છે અને તેની મર્યાદા પણ. ‘પાપી માણસ સ્વીચ પાડે તો લાઈટ ચાલુ ન થાય. એના માટે તો તપ કરવાં પડે તપ !’ એવું વીજ્ઞાનના નીયમોને આધીન બાબતોમાં હોતું નથી. ઈન્ટરનેટ પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો કે સ્વસ્થ વૈજ્ઞાનીક અભીગમનો, એ ટૅકનોલૉજી નહીં; માણસો નક્કી કરે છે. ઈન્ટરનેટ પર અંધશ્રદ્ધા સામેની ઝુંબેશો ચાલે છે; છતાં બહારની દુનીયાની જેમ ઈન્ટરનેટના માઘ્યમમાં પણ અંધશ્રદ્ધાનું પલ્લું ભારે રહે છે. કારણ કે ટૅકનોલૉજી નવી છે; પણ તેને વાપરનારા તો એના એ જ છે. ભણ્યા પછી જેમના મનમાંથી અંધશ્રદ્ધા દુર થઈ શકી નથી, એવા લોકો ટૅકનોલૉજીનો ઉપયોગ પોતાની અંધશ્રદ્ધા પોસવામાં અને તેમાં રાચવામાં જ કરે એ સ્વાભાવીક છે.
ઈન્ટરનેટનો ઉપયોગ કરી જાણનારા લોકો તેનો ઉપયોગ કમ સે કમ પરચાનાં પોસ્ટકાર્ડની જગ્યાએ ન કરે એટલી અપેક્ષા રહે છે. પરંતુ અંધશ્રદ્ધાળુઓની કઠણાઈ જ એ છે કે વૈજ્ઞાનીક સાધનો વાપરીને અવૈજ્ઞાનીક માન્યતાઓનો પ્રચારપ્રસાર કરવામાં તેમને છોછસંકોચ કે લાજશરમ નડતાં નથી. એમાં તેમને કશો વીરોધાભાસ લાગતો નથી. તેમને એવો સીધોસાદો વીચાર પણ આવતો નથી કે વીસ જણને ઈ-મેઈલ ફોરવર્ડ કર્યા પછી, તેમાંથી કોઈને ત્યાં સરનામું ખોટું હોવાને કારણે ઈ-મેઈલ ન પહોંચે કે કોઈ ઈ-મેઈલ ખોલીને ન વાંચે કે કોઈના મેઈલ બોક્સમાં આવો ઈ-મેઈલ સીધો કચરાપટ્ટી/સ્પામ/જંક મેઈલના ફોલ્ડરમાં જતો રહે તો શું થાય ? વીસ ઈ-મેઈલ મોકલ્યાનું પુણ્ય મળે કે ન મળે ? બધા સવાલોના તેમની પાસે એક જ જવાબ છેઃ ‘આપણને ક્યાં કશું નુકસાન છે?’ અંધશ્રદ્ધાળુ ન હોવા છતાં, કોઈને લાગતું હોય કે ‘હશે બીચારા ! છો ને ઈ-મેઈલ મોકલ્યા કરે ? આપણને શું નુકસાન છે ? ન વાંચવો હોય તો ડીલીટ કરી નાખવાનો !’, તો મોટા ભાગના કીસ્સામાં આવું વલણ ઉદારતા કે સહીષ્ણુતા કરતાં વધારે અવઢવ સુચવે છે. ઈન્ટરનેટ પર ફરતા અંધશ્રદ્ધા અને ખોટી માહીતીને લગતા ઈ-મેઈલનો ત્રાસ એટલો વધી ગયો છે કે ક્યારે કોણ કઈ વીગત સાચી માની લેશે, એનો હંમેશાં ફડકો રહ્યા કરે.
ગેરમાર્ગે દોરતી માહીતીનો મારો ઈ-મેઈલમાં વખતોવખત એવી કથાઓ મળતી રહે છે કે ‘ફલાણા ભાઇ થીયેટરમાં ફીલ્મ જોવા ગયા, ત્યારે તેમની બેઠકમાં ટાંકણી ભોંકાઈ. એ ટાંકણી એઈડ્સનો ચેપ ધરાવતી હોવાથી ફીલ્મ જોવા ગયેલા ભાઈને એઈડ્સ લાગુ પડી ગયો’અથવા ‘કોકા કોલા એટલી જલદ આવે છે કે ડાઘા સાફ કરવાના કામમાં (એસીડને બદલે) તેનો ઉપયોગ કરવામાં આવે છે. માટે કોકા કોલા ન પીશો.’ અથવા ‘ડીયોડોરન્ટ લગાડવાથી કેન્સર થાય છે.’‘ કથાઓના બીજા પ્રકારમાં એવી લાલચ આપવામાં આવે છે કે આ મેઇલની સાથે મોકલેલી ઈષ્ટદેવની તસવીર સામે જોઈને મનમાં જેની ઈચ્છા કરો, તે મળી જશે.’
અને આ કામમાં ભગવાનને બદલે માણસ પણ મદદરુપ થઈ શકે છે. એવા મેઈલમાં કાયમી ઓફર હોય છે કે ‘નાઈજીરીયાથી માંડીને બ્રીટન સુધીના કોઈ પણ દેશમાં કોઈ બીનવારસી ભાઈ લાખો ડૉલરનો દલ્લો મુકીને મૃત્યુ પામ્યા છે અને કોઈ ભળતાસળતા બૅન્ક અધીકારી એ ખજાનો તમારા ખાતામાં મોકલી આપવા ઉત્સુક છે. બસ, તમે તમારો બૅન્કનો ખાતાનંબર આપો અને ‘કાર્યવાહીની ફી પેટે’ થોડા ડૉલર મોકલી આપો !’ ઈન્ટરનેટની આલમમાં ‘નાઈજીરીયન ફ્રોડ’ તરીકે જાણીતી આ તરકીબ એટલી જુની અને જાણીતી હોવા છતાં; તેની સાથે સંકળાયેલું લોભનું લોહચુંબક એવું પ્રબળ પુરવાર થાય છે કે એક જાણીતી ‘ગ્રાહક સુરક્ષા સંસ્થા’ના વડા થોડાં વર્ષો પહેલાં આવા જ ‘નાઈજીરીયન ફ્રોડ’માં ઘણા રુપીયા ગુમાવી બેઠા હતા !
ઈન્ટરનેટ પર માણસની મુળભુત નબળાઈઓની જ નહીં; સારપની પણ રોકડી કરનારા લોકોની કમી નથી. પરીણામે ગંભીર બીમારી ધરાવતી અને છેક ૧૯૯૩થી, સાત જ વર્ષની ઉંમર ધરાવતી છોકરી એમી બુર્સની સારવારના બહાને આર્થીક મદદ ઉઘરાવતા મેઈલ આવી પડે છે. ‘આપણું શું જાય છે ?’ પ્રકારનો વર્ગ તેમાં ભોળવાતો નથી. છતાં જેટલાં વર્ષોથી એ છેતરપીંડી ચાલે છે, એ જોતાં તેમાં સફળતાનું સારું એવું પ્રમાણ હશે એવી અટકળ ચોક્કસ કરી શકાય.
જરા જુદા પ્રકારના મેઈલ ‘મેરા ભારત મહાન’ કે ‘મેરા ગુજરાત મહાન’ પ્રકારના હોય છે. પહેલી નજરે આંકડાથી અને નક્કર માહીતીથી લદાયેલા જણાતા એ મેઈલની માહીતી માનવી ગમે એવી હોય છે; પણ માનવાજોગ હોતી નથી. એ પ્રકારના મેઈલમાં કરાતા ઘણાખરા દાવા સચ્ચાઈની કસોટી પર પુરવાર થતા નથી. ઈન્ટરનેટ પર સાચી ન લાગે એવી કે શંકા ઉપજાવે એવી કોઈ પણ માહીતી વાંચવા મળે, તો ‘ગુગલ’જેવા ‘સર્ચ એન્જીન’માં જઈને સમ્બન્ધીત વીષય લખીને, તેની સાથે skeptics (સંશય કરનાર), other side (બીજી બાજુ), fraud (છેતરપીંડી) કે hoax (મજાકમાં કરેલી છેતરપીંડી) જેવા શબ્દો લખીને સર્ચ કરવાથી, આ વિષયની પોલ ખુલ્લી પાડતી વીગતો પણ મળી શકે છે.
– અને ‘હેં હેં હેં’, એમાં આપણને કશું નુકસાન નથી !
–ઉર્વીશ કોઠારી
No comments:
Post a Comment